અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે એક ભવ્ય અને અલૌકિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે સમગ્ર ધામ પરિસરમાં 76,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું છે. આ ભવ્ય ઉજવણી દરમિયાન ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે જગતજનની મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહીને મા ઉમિયાની ભવ્ય મહાઆરતી કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે માં ઉમિયા સમક્ષ પ્રાર્થના કરી હતી. આ અવસરે ભક્તોની વિશાળ જનમેદની ઉમટી હતી અને ‘જય ઉમિયા’ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ ઉમિયાધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી ભવ્ય રોશની અને વ્યવસ્થાએ આ જન્મદિનની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી.કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો, જ્યારે 150 Gen Z યુવાનોના નેતૃત્વમાં 5 હજારથી વધુ લોકોએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. યુવા પેઢી દ્વારા દેશભક્તિના આ કાર્યક્રમનું નેતૃત્વ અને મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
ભક્તોને આવવા-જવામાં કોઈ અસુવિધા ન થાય તે માટે AMC અને AMTS દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયાધામ ખાતે પહોંચવા માટે AMTS દ્વારા 100 જેટલી વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ હતી, જેથી લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તો સરળતાથી દર્શનનો લાભ લઈ શક્યા. આ ભવ્ય આયોજનથી અમદાવાદવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ ડી.એન. ગોલે આશીર્વાદનો દીવો નામના વિશેષ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ, ડો. હર્ષદ પટેલ, કોપોરેટરો, દાતાઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.


