અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અમદાવાદના કાંકરિયા ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1.25 લાખ દીવાઓ પ્રગટાવીને અનોખી ઉજવણી કરાઈ હતી. આ વિશેષ પ્રસંગે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ દિવ્ય નજારાના સાક્ષી બન્યા હતા.
રિપોર્ટ મુજબ, સૌથી પહેલા સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રીએ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પહોંચીને ભગવાનની આરતી કરી હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા ઉત્તરોત્તર પ્રગતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ મહાનુભાવો સીધા કાંકરિયા તળાવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાંકરિયા પરિસરમાં અદભુત રોશની સાથે ભવ્ય દીપોત્સવ યોજવામાં આવ્યો હતો. અહીં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને પ્રકાશમય બની ગયું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાવાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યઓ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ સર્વે હરિન પાઠક, ડૉ. કિરીટ સોલંકી, ડેપ્યૂટી મેયર અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તથા કોર્પોરેટઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અટલબ્રિજ ખાતે યોજાયેલા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં 76 હજાર દીવડાં પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દીવડાંની રોશનીથી અટલબ્રિજ અને આસપાસનો રિવરફ્રન્ટ વિસ્તાર દીપમાળાથી ઝળહળી ઉઠ્યો હતો. ‘આશીર્વાદનો દીવડો’ અભિયાન હેઠળ અમદાવાદ શહેરના 48 વોર્ડમાં પણ કુલ 4 લાખ 80 હજાર દીવડાં પ્રજ્વલિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં દીપ પ્રજ્વલનનું આયોજન કરવામાં આવ્યું હતું.


