અમદાવાદ : મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જયશ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.આજે ગુજરાત યનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારામારીમાં વિદેશના નાગરિકો ઘાયલ થતા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનામાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા, તે દરમિયાન માર મારવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે. જય શ્રીરામના નારા સાથે 150 થી વધુ લોકોનું ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું. જેમાં ટોળામાંથી કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ પણ કરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનોમાં પણ લોક ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.આ ઘટના ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ રદ કર્યો છે અને અમદાવાદ પોલીસ કમિશ્રનર પાસે આ અંગેનો રિપોર્ટ માંગતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ ઘટનામાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સમયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર હતા. આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. DGP અને પોલીસ કમિશનરને પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
ચર્ચા છે કે, મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.


