ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. વિપક્ષના જ નહીં પણ સત્તાપક્ષ ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ઉપરાંત મંત્રીઓના જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમનું માન સન્માન પણ ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી.મંત્રીઓ અને ધારાસભ્યોને પ્રોટોકોલ ન મળવાની વધતી ફરિયાદોને પગલે સામાન્ય વહીવટ વિભાગે આકરો પરિપત્ર જાહેર કર્યો છે. જે હાલ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અધિકારીઓએ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ જેવા જનપ્રતિનિધિઓની ગરિમા જાળવવી પડશે અને મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવો અનિવાર્ય રહેશે. વહીવટમાં સંકલન જળવાય તે હેતુથી જિલ્લા પ્રભારીને વિશ્વાસમાં લઈ કાર્યક્રમો યોજવા તેમજ લોકપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર ત્વરિત મુલાકાત આપી તેમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે, આ આદેશ બાદ સચિવાલયમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું અધિકારીઓ પદાધિકારીઓનું યોગ્ય સન્માન નથી કરી રહ્યા? શું મંત્રીઓ અને સાંસદોને મુલાકાત માટે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે? આ પરિપત્રે સત્તાધારી પક્ષ અને અમલદારી વચ્ચેના અદ્રશ્ય ગજગ્રાહને જાહેરમાં લાવી દીધો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં અધિકારીઓની ટીકા કરી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રની સૂચનાઓનો ભંગ કરનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે.


