અમદાવાદ : અમદાવાદમાં અતિભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે અનેક અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ કરી છે.
મ્યુનિસિપલ કમિશનરે વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ અમદાવાદની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે. તેમણે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને પણ શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા અથવા રજા આપવા અપીલ કરી છે. કમિશનરે કહ્યું કે આજે રાત્રે તેમજ આવતીકાલે અને પરમદિવસે પણ ભારે વરસાદની શક્યતા છે. પરિસ્થિતિને પહોંચી વળવા AMCની તમામ ટીમો ખડેપગે તૈનાત છે.
શહેરમાં ભારે વરસાદના કારણે અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમળ, શાહીબાગ, જલારામ, દક્ષિણી, ઉસ્માનપુરા અને કાળીગામ ડેમો સહિત કુલ 10 મુખ્ય અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના આંકડા પ્રમાણે બાકરોલમાં 18 ઇંચ, બોપલમાં 18 ઇંચ, સરખેજ અને જોધપુરમાં 16 ઇંચ, મકતમપુરા અને બોડકદેવમાં 16 ઇંચ, જ્યારે થલતેજમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે.
દરમિયાન સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના તમામ 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદનું તંત્ર અને કંટ્રોલ રૂમ 24 કલાક હાઈ એલર્ટ પર છે. તંત્રએ નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારો, અંડરપાસ અને નદી-નાળા નજીક જવાનું ટાળવા તથા જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ભારે વરસાદ વચ્ચે લોકોની સુરક્ષા માટે AMCની ટીમો સતત કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હજુ પણ ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલારૂપે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે તેમજ આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતી.


