અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 11 ઓગસ્ટના રોજ અમદાવાદના રાયપુર વિસ્તારમાંથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આવનારી 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા રાયપુર દરવાજાથી શરૂ થઈને સરસપુર સુધીના નિર્ધારિત રૂટ પર નીકળી ચકલા થઈ સારંગપુર સુધી પહોંચશે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સંગઠનો જોડાવાના હોવાથી કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારૂ વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, યાત્રાના સમયે રાયપુર દરવાજાથી લઈને સારંગપુર વચ્ચેનો મુખ્ય રોડ તમામ પ્રકારના સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
તિરંગા યાત્રા દરમિયાન રાયપુર-સારંગપુર રૂટ બંધ રહેવાનો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામામાં દર્શાવેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે જેથી કરીને સમયનો બગાડ ન થાય. આ વિસ્તારમાંથી પસાર થતાં પહેલાં ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા અન્ય માર્ગો પરથી મુસાફરી કરવા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વ્યાપક બનાવવા અને લોકોમાં રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે.


