અમદાવાદ : અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દટાયેલા શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ મહેનત કરીને શ્રમિકને ભેખડમાંથી બહાર કાઢ્યો હતો.
રિપોર્ટ મુજબ, શહેરના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા ખાતે હાલમાં સ્લમ રીડેવલપમેન્ટ (પુનઃવસન) પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે સેક્ટર-2 વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન નાખવા માટે ઊંડો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી રહી હતી.કામગીરી દરમિયાન શ્રમિકો ખાડાની અંદર ઉતરીને કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક માટીનો મોટો ઢગલો અને ભેખડ ધસી પડી હતી.
આકસ્મિક રીતે ભેખડ ધસી પડવાના કારણે ત્યાં કામ કરી રહેલો એક શ્રમિક ક્ષણભરમાં જ માટીના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. બનાવ બનતા જ આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. શ્રમિક માટી નીચે દટાયો હોવાનું માલૂમ પડતાં જ સ્થાનિક રહીશોએ જરાય વિલંબ કર્યા વિના સ્વયંભૂ બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક લોકોએ પોતાના હાથેથી અને ઉપલબ્ધ સાધનો વડે ત્વરિત માટી હટાવવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ દટાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. શ્રમિકને બહાર કાઢ્યા બાદ તેને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. રીડેવલપમેન્ટની કામગીરી કરતી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય બેરિકેડિંગ કે સેફ્ટી જેકેટ/હેલ્મેટ જેવાં સાધનો અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવે છે કે કેમ તે અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.


