અમદાવાદ : મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવનું આગવું મહત્વ છે. મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે પણ લાલબાગચા રાજાની પ્રતિમાને અત્યંત આકર્ષક અને ભવ્ય સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. બાપ્પાની પ્રતિમાની પાછળ સ્થાપિત કરાયેલું વિશાળ ત્રિશૂળ અને ભવ્ય પ્રાચીન શિવ-મંદિર થીમ આધારિત ડેકોરેશન આ વર્ષના લાલબાગચા રાજાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સુવર્ણ આભૂષણો, હીરાજડિત મુગટ અને રેશમી પીતાંબરથી સજ્જ બાપ્પાના મુખમંડળ પરનું દિવ્ય તેજ ભક્તોના મન મોહી રહ્યું છે. મંડળ દ્વારા પંડાલને વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાંથી આવતા લાખો દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં વિશાળ કદનું સુવર્ણ-ચમક ધરાવતું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભગવાન શિવના આશીર્વાદ અને દૈવી શક્તિનું પ્રતીક છે. સમગ્ર પંડાલને દક્ષિણ અને પશ્ચિમ ભારતના પ્રાચીન શિવ મંદિરોના પથ્થર સ્થાપત્ય અને કોતરણી જેવો લાઈવ લુક આપવામાં આવ્યો છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. ‘લાલબાગચા રાજા’ને આ વર્ષે પરંપરાગત વસ્ત્રો, હીરાજડિત મુગટ અને વિશેષ સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.
બાપ્પાની મનમોહક પ્રતિમા અને સજાવટ જોઈને ભક્તોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. લાલ બાગ ચા રાજાના ફર્સ્ટ લૂકે પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી હતી.આ વર્ષે `લાલબાગચા રાજા ગણેશોત્સવ`ની 93 મી ઉજવણી થઈ રહી છે. આ તહેવાર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અનંત ચતુર્દશીના દિવસ એટલે કે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.
`લાલબાગચા રાજા` મુંબઈના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક છે. તહેવાર દરમિયાન, દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે.“લાલબાગચા રાજા`નું પંડાલ મધ્ય મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તારમાં આવેલું છે. ચિંચપોકલી, કરી રોડ અને પરેલ તેના નજીકના મુખ્ય રેલવે સ્ટેશનો છે.મુંબઈની વેસ્ટર્ન લાઈન (પશ્ચિમ લાઈન) દ્વારા મુસાફરી કરતા ભક્તો લોઅર પરેલ સ્ટેશનનો પણ ઉપયોગ કરી શકે છે.


