અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં ઉત્સવની વિશેષતા એ છે કે, ભાજપના નેતાઓ દ્વારા પોતાના ઘરે પણ ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે અને નેતાઓ દ્વારા ગણેશ મહોત્સવના આ પાવન પ્રસંગે ધર્મ અને ભક્તિની સાથે સાથે દેશભક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, શહેરના શ્યામલ ખાતે પણ અન્ય એક ભાજપના નેતા દ્વારા અનોખી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. શ્યામલ ખાતે ભાજપના નેતા રાજુલ પંડ્યા અને નિવૃત્તિ પંડયાએ પર્યાવરણ બચાવવા માટે ફટકડીમાંથી ગણપતિજીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી છે. આ ફટકડીના ગણપતિ નદીમાં પધરાવીને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શ્યામલ ખાતે ભાજપના નેતા દ્વારા ફટાકડીના ગણેશજીની સ્થાપના કરવાની કિસ્સાને ભાવિ ભક્તો કેન્દ્ર સરકારની નદીઓ શુદ્ધિકરણ યોજના અન્વયે નદીઓને સુરક્ષિત કરવા માટે ધાર્મિક મહાત્મ્યને જોડવામાં આવ્યું છે. આ રીતે ગણેશ વિસર્જનને પર્યાવરણ સાથે જોડીને પર્યાવરણ બચાવવાનો સંદેશ અપાયો છે.
બીજી તરફ મણિનગર વિસ્તારમાં ભાજપના નેતા નીતિન બેતલાલે પોતાના ઘરે ‘વિકસિત ભારત’ની થીમ પર આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે. તેમણે ધર્મ ભક્તિ સાથે દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આ ઉજવણી દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કર્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનાની સાથે કેન્દ્ર સરકારની યોજનાઓ અને ભારત માતાની પ્રતિમા પણ મૂકી છે.
આ ઉપરાંત, ભાજપ નેતા નીતિન બેતલાલે ગણેશોત્સવની ઉજવણીમાં ભારત માતાની પ્રતિમા સાથે વંદે માતરમ્ ગાનની 150 વર્ષની ઉજવણી અંગે પણ વિશેષ સંદેશ આપ્યો છે. આમ કેન્દ્ર સરકારની વિકસિત ભારતની પરિકલ્પનાનો નેતાએ ગણેશ ઉત્સવમાં સમાવેશ કરતા નેતાની આ અનોખી પહેલની ચારેય બાજુ ચર્ચાઓ શરૂ થઈ છે
આમ ગણેશ ઉત્સવ પ્રસંગે ભાજપ નેતા નીતિન બેતલાલ અને ભાજપ નેતા રાજુલ પંડ્યાએ ધર્મ ભક્તિ સાથે દેશભક્તિની અને પર્યાવરણ બચાવો સંદેશ સાથે ઉજવણી કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા પોતાના ઘરે પણ ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે


