અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા 2011 થી આ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના GMDC ખાતે ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તે અવસરે અમદાવાદના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ કિરીટ ભાઇ સોલંકી હસમુખ પટેલ અને ધારાસભ્યો તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.







