અમદાવાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પૈકી એક અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયા ઘીના વપરાશ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી ઘી અને ખાદ્યતેલના નમૂનાઓ લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા શહેરના ઓઢવ વિસ્તારમાં એસપી રીંગ રોડ પર રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો એક્સપાયરી થઈ ગયેલો અને હાનિકારક એવા રસીલા બ્રાન્ડના પ્રિમિયમ ગાયના ઘીનો જથ્થો રૂ.7.67 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જેને ડમ્પિંગ સાઈટ ઉપર નાશ કરાવી રૂપિયા 25,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે આજે શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારમાં સ્થિત રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો.એટલું જ નહીં બહોળા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળા ઘીના જથ્થાનો ડમ્પિંગ સાઈટ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે 25000નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.તેમજ 7907 કિલો ખાદ્યતેલના જથ્થાના 11 નમૂના લઈ તેને સિઝ કરાયો હતો. આ ઉપરાંત ઘી અને તેલની સાથે જ પનીર મખની, રેડ ગ્રેવીના પણ 14 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.


