અમદાવાદ : રાજ્યનો કોઈપણ શ્રમિક ભૂખ્યો ન રહે તે માટે ફક્ત પાંચ રૂપિયામાં જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.
મહત્વનું છે કે, અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં જુદી જુદી 49 જગ્યા પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બુથ ખોલવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રૂ.પાંચમાં જમવાનું મળશે. નોંધનીય છે કે, હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.
રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3 અને મહેસાણામાં 5 કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં 5, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં 4-4 કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં 7-7 નવસારી અને મોરબીમાં 6-6 કેન્દ્રો શરૂ થશે.