અમદાવાદ : દેશ-દુનિયામાં ઓળખ ધરાવતાં એવા ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને 1200 કરોડથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે આશ્રમ રોડ પરના કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીના 500 મીટરનો રોડ કાયમી ધોરણે બંધ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે મંજૂર કરી હતી. 1970માં બનેલો આ રોડ હવે કાયમી બંધ થશે. આ રોડના બદલે લોકો પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિતલાલ બ્રિજ વચ્ચેના નવા બનેલા રોડનો ઉપયોગ કરી શકશે.

મ્યુનિ. અધિકારીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 55 એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. જે દિવસે ખાતમુહૂર્ત કરાશે તે દિવસથી ગાંધી આશ્રમ રોડ બંધ કરી દેવાશે.વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ નજીક આવેલા કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ રોડ બનાવવામાં આવ્યો છે. આગામી 12 માર્ચે નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.
તમને જણાવી દઈએ કે સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


