અમદાવાદ : અમદાવાદમાં અત્યાર સુધી ઘણી રેસ્ટોરન્ટ અને હોટેલમાં આપવામાં આવતા ભોજનમાંથી જીવાતો નિકળવાની ઘટનાઓ બની છે.અમદાવાદ કોર્પોરેશનના (AMC) હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે.શહેરના ઘણા એકમો સામે કોર્પોરેશન દંડ કરતા હોય છે.આવી જ એક ઘટના અમદાવાદની એક મોટી હોટેલમાં સામે આવી છે.ઉસ્માનપુરમાં આવેલા ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટલના કિચન સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સીલ મારવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એક ગ્રાહક તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે ગયા હતા,આ ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો હતો.જ્યાં આ ગ્રાહકના સૂપમાંથી જીવાત નીકળી હતી. જે અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.ઓનલાઇન ફરિયાદનો નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો.હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હોવાથી કિચન સીલ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે,અમારી ટીમ દ્વારા કિચનમાં કોઇપણ પ્રકાર નો ખાદ્ય પદાર્થ ન બનાવવા ક્લોઝર નોટિસ આપી બંધ કરાવ્યું છે. કિચનમાં પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવી અને તેમની પાસેથી વહીવટી ચાર્જ લીધા બાદ જ કિચન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.
AMC એ અન્ય એકમોને પણ ચેતવણી આપતા કહ્યું કે આવનારા ગરમીના દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ઠંડાપીણા, પેકે ડ્રિન્કીંગ વોટર, આઇસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, શરબત વિગેરેના ધંધા સાથે સંકળાયેલા એકમોની સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ ચેકીંગ કરવામાં આવશે અને ચેકીગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ /બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.


