અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રૂ. 17 લાખની છેતરપિંડી અને શારીરિક શોષણની ગંભીર ઘટના સામે આવતા પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પરિણીત વિધર્મી શખ્સે શેરબજારમાં રોકાણ કરી સારો નફો અપાવવાની લાલચ આપી તેમજ લગ્નની ખોટી જાળમાં ફસાવીને રૂપિયા 17,00,000 ની છેતરપિંડી અને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોતે પરિણીત હોવાની હકીકત છુપાવી વિશ્વાસમાં લીધેલા આરોપી વિરુદ્ધ મહિલા કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, ફરિયાદી મહિલા વર્ષ 2020થી અમદાવાદ શહેર પોલીસમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એપ્રિલ 2024માં ફરજ દરમિયાન તેમની મુલાકાત એક જવાન દ્વારા મૂળ પાટણના રહેવાસી માજીદખાન સીકંદરખાન ચૌહાણ સાથે થઈ હતી. માજીદખાને પોતે એનજીઓ ચલાવતો હોવાનું અને શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાનું કહીને મહિલા કોન્સ્ટેબલનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને 17 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
માજીદખાને અન્ય પોલીસકર્મીઓના ખાતા ખોલાવ્યા હોવાનો વિશ્વાસ અપાવીને જૂન 2024થી મહિલા કોન્સ્ટેબલ પાસે શેરબજારની એક એપ્લિકેશનમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં નુકસાન જતાં માજીદખાને પોતે પૈસાનું રોકાણ કરી સારો નફો અપાવવાની ખાતરી આપી હતી. મહિલા કોન્સ્ટેબલે તેના પર વિશ્વાસ મૂકીને અલગ અલગ બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ અને લોન મારફતે રૂપિયા 7,50,000 અને ત્યારબાદ રૂપિયા 9,50,000ની પર્સનલ લોન લઈને કુલ રૂપિયા 17,00,000 રોકડા માજીદખાનને આપ્યા હતા. આરોપીએ પૈસા પડાવ્યા બાદ હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અને વિદેશમાં સ્થાયી થવા માટે પણ મહિલા પર દબાણ કર્યું હતું.
આરોપી માજીદખાને તારીખ માર્ચ 2026ના રોજ મહિલા કોન્સ્ટેબલને બોલાવી પોતાની કારમાં બેસાડી એસજી હાઇવે પર અવાવરું જગ્યાએ લઈ જઈને લગ્નની લાલચ આપીને કારમાં જ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત એપ્રિલ 2026ના રોજ મહિલા કોન્સ્ટેબલના ભાડાના મકાનમાં પણ દુષ્કર્મ કર્યું હતું. જ્યારે મહિલા કોન્સ્ટેબલે ફરવા જવાની ના પાડી ત્યારે આરોપીએ તેને અપશબ્દો કહ્યા હતા અને તેનો મોબાઈલ પણ જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં હાઇવે પર પણ કારમાં શારીરિક અડપલાં કર્યા હતા.
આરોપી માજીદખાને દિલ્હી જવાનું કહીને મહિલાના ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. જે બાદ શંકા જતાં મહિલા કોન્સ્ટેબલે જૂન 2026એ પાટણ જઈને માજીદખાનના ઘરે તપાસ કરી હતી. ત્યાં તેના માતા-પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે માજીદખાન અગાઉથી જ પરણિત છે અને તેને એક દીકરો પણ છે. આમ પોતાની સાથે લગ્નની ખોટી લાલચ આપીને વિશ્વાસઘાત અને મોટી છેતરપિંડી થઈ હોવાની જાણ થતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં માજીદખાન સીકંદરખાન ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


