અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઇન જ્વેલરી’ શોરૂમમાં થયેલી લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં જ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીએ સાથી સ્ટાફ પાસેથી ચાવી મેળવી રાત્રિના સમયે રૂ. 5.90 લાખના સોના-હીરાના ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આરોપી દર્શન સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, થલતેજમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઈન જ્વેલરી આર્ટ’ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા દર્શન સોનીએ ગત 17 ઓગસ્ટે રાત્રે શોરૂમ બંધ થયા બાદ પોતાનું બેગ રહી ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. સ્ટોર મેનેજર પાસેથી ચાવી મેળવી અંદર ગયા બાદ તેણે સોનાની ચેન, બંગડીઓ અને મંગળસૂત્ર મળી કુલ રૂ. 5.90 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે દર્શન સોનીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે દર્શન સોની શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે છેલ્લા 10 માસથી નોકરી કરતો હતો. આરોપી દર્શન સોનીએ પૂરી કરેલા દાગીના માણેકચોક ભક્તિ ટચ નામની દુકાનમાં વેચી દીધા હતા. ચોરીના દાગીના ના વેચાણથી મેળવેલા પૈસા મોજશોખ માટે વાપરી નાખ્યા હતા. આરોપી દર્શને ધો. 12 સુધી અભ્યાસ કર્યો છે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં છેલ્લા 10 વર્ષમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 13 ગુનાઓ નોંધાયા છે.
પાટણ, ડીસા, નવસારી, ગાંધીનગર અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં વાહનચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અકસ્માત ચેંજ મેચિંગ સહિતના વિવિધ ગુના આરોપી વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાયા છે. આ ગુનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.


