અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાન મોડીરાત્રે પરત ફરતી હતી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો થતા સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હિંમાશુ ભાવસાર અને તેમનો પરિવાર એક લક્ઝરી બસ અને ચાર કાર લઇને અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યા હતા. જાનૈયાઓને નિકોલમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેંકવેટમાં ઉતારો અને ભોજન રખાયુ હતુ. જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેમને ઉલ્ટી અને ઝાડાની ફરિયાદો હતી.મોડી રાત્રે કન્યા વિદાય બાદ જાનૈયાઓ CTM એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે તેમને આની અસર થઈ હતી. જેને કારણે છ લોકોને મણિનગરની એલ.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે કેટલાક જાનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી. જેથી તેમને ત્યાંની હોસ્પિટલ ખસેડાયા હતા. ભોજન આરોગતા કન્યા પક્ષના લોકોને પણ અસર થઈ હતી.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ પાસે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યુ હતુ. સોમવારે મોડી રાતે લગ્ન પુરા કરીને જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાના નડિયાદ પાસે આ ઘટના બની હતી. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને પેટમાં દુખવા લાગ્યુ હતું. ચાલુ બસમાં જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર શરૂ થઈ હતી અને ઝાડા ઉલ્ટી શરૂ થયા હતા.


