અમદાવાદ : શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસવાની ઘટના બની છે. આ કન્સ્ટ્રક્શ સાઇટ પર બની રહેલી નિર્માણાધીન દીવાલ પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જ્યારે એક મહિલા અને એક પુરુષનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યું છે. હાલ આ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે મળતા રિપોર્ટ મુજબ, મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું. બપોરે 11:30 વાગ્યાની આસપાસ મજૂરો કામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યુ હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


