અમદાવાદ : 28મી ફેબ્રુઆરી ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમનના સન્માનમાં અને સ્મૃતિમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.ત્યારે આજે નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રિ સ્કૂલ દ્વારા આ દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી. એક શાળાએ શાળાના બાળકો અને તેમના પરિવારના સભ્યો માટે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાળાના આચાર્ય ઝલકબેન ભાવસાર વાળા અને શિક્ષકો દ્વારા બાળકો પણ સહભાગી બનાવી વિજ્ઞાનની વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવી હતી. જેથી બાળકોને જાત અનુભવ મળે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે. Sr K G વર્ગના બાળકોએ 10 થી વધુ વિવિધ વિજ્ઞાનના પ્રયોગો અને વિજ્ઞાન આધારિત રમતોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તમામ બાળકોએ વિજ્ઞાન પ્રત્યે પોતાની ક્ષમતા દર્શાવી હતી અને પ્લે ગ્રુપ, નર્સરી અને જુનિયર કેજી વર્ગે વિવિધ વિજ્ઞાનના પ્રયોગોની જાદુઈ શક્તિનો આનંદ માણ્યો હતો.
તમામ શિક્ષકો અને બાળકોએ તમામ પ્રોજેક્ટ અને પ્રયોગો ખૂબ જ શાનદાર રીતે પ્રદર્શિત કર્યા હતા. આ તમામ પ્રયોગોમાં બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો.જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળામાં 180 થી વધુ વાલીઓએ મુલાકાત લીધી હતી. વાલીઓ ખૂબ જ ખુશ હતા અને તેઓએ તમામ બાળકો અને શિક્ષકોની મહેનતની પ્રશંસા કરી હતી.
તમને જણાવી દઈએ કે ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રમન દ્વારા રમન ઇફેક્ટની શોધ કરવામાં આવી તેની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. વર્ષ 1930માં સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ ભારતના મહાન વૈજ્ઞાનિકોના સન્માન સંદર્ભે વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.