અમદાવાદ : શહેરમાં ફરી એક વખત પોલીસ કર્મચારીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મહિલા કર્મચારી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, હજુ પણ મહિલા પોલીસકર્મીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ અકબંધ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા. લલિતાબેને કોઈ અંગત કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કદાચ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તુરંત તેમાં કાર્યવાહી કરવામાં આવશે.


