અમદાવાદ : આજે અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે, ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. નવરંગપુરા ખાતે રોડ પર જતા યુવકને કારે ટક્કર મારતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે શાહપુર ખાતે સવારે રોડ ક્રોસ કરી રહેલી મહિલા પર BRTS બસનું ટાયર ફરી વળતાં મોત થયું છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આમ મંગળવાર અમંગળ સાબીત થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરામાં રહેતો 33 વર્ષીય રિશી મહેતા નામનો યુવક નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા બાજુમાં આવેલા મેડિકલ સ્ટોરની સામેથી એક્ટિવા પર પસાર થતો હતો. ત્યારે એક અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે રિશીની એકટીવાને ટક્કર મારી હતી. જેમાં રિશીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રિશીનું મોત થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે કે, શહેરના શાહપુરમાં રહેતા શારદાબેન દંતાણી નામના 57 વર્ષીય મહિલા ઘરેથી નીકળી લીમડા ચોક તરફ જતા હતા. તે દરમિયાન BRTS બસ દ્વારા પુરપાટ ઝડપે ચલાવી શારદાબેનને ટક્કર મારતા બસનું ટાયર માથામાં ભાગે ચડી ગયું હતું. જેથી શારદા બેનનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


