અમદાવાદ : અમદાવાદમાં બેફામ કાર ચાલકોનો આંતક યથાવત ફરીથી જોવા મળ્યો છે. અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી નશાની હાલતમાં કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ કારચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા અને એક બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. કારચાલક શખ્સ એટલો નશાની હાલતમાં હતો કે તેને ભાન જ નહોંતુ. બાઈક સવાર શખ્સને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ ભાગવા જતા સુખીપુરા ગામમાં ત્રણથી વધુ મોપેડને અડફેટે લીધા હતા. કારચાલકે રસ્તામાં પાર્ક કરેલા બાઇક મોપેડ અડફેટે લીધા બાદ વીજ કંપનીના ડીબી સાથે કાર ઠોકી હતી.
તો બીજી તરફ સુખીપુરા ગામમાં લોકોએ કારચાલકને દબોચીને મેથીપાક ચખાડ્યો હતો. જો કે કાર ચાલક તક જોઈને કાર મૂકીને ફરાર થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર કારને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેરમાં 14 માર્ચે હોટેલ શિવરંજની પાસે કેશવબાગ ત્રણ રસ્તા પર એક કારચાલકે એક્ટીવા પર સવાર 21 યુવતીને ટક્કર મારી તેને 50 મીટર સુધી ઢસડી હતી. આ યુવતીને માથાના ભાગે તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ કોમામાં સરી પડેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.


