અમદાવાદ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધાં છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોને માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય રીતે સરકારી કોલેજોમાં આવી કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ઓપીડી અને આઈપીડી ત્રણ અલગ-અલગ જગ્યાઓ હોવાથી જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અખંડાનંદ આયુર્વેદ કોલેજ સિવાય બાકીની પાંચ સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે.
કઈ કઈ કોલેજનું જોડાણ રદ થયું?
1 સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ
2 શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ, ગાંધીનગર
3 અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ, કલોલ
4 ધન્વન્તરી આયુર્વેદ કોલેજ-હોસ્પિટલ, મહિસાગર
5 ભાર્ગવ આયુર્વેદ કોલેજ, આણંદ
6 જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરા
આ 6 કોલેજોનું જોડાણ રદ થવાનને કારણે ગુજરાતની 29 આયુર્વેદિક કોલેજોની 2400 બેઠકોમાંથી 330 બેઠકો ઘટી જશે અને 26 કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું કે પ્રોફેસરો અને લેબ સહિતની જરૂરી સુવિધાના અભાવે કોલેજો સામે કાર્યવાહી કરવી પડી હતી. દર વર્ષે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નિરીક્ષણ, સુનાવણી, શૈક્ષણિક સમિતિ અને બોર્ડ ઓફ ગવર્નર્સ આ બાબતો પર નિર્ણય લે છે. ટીચિંગ સ્ટાફ અને હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા માટે પગલાં ભરવા પડશે, જેથી કોલેજોમાં ટૂંક સમયમાં સુધારો જોવા મળી શકે.