ગાંધીનગર : પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા જણાવવામાં આવ્યું છે.મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના અપાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે X માધ્યમ દ્વારા જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ બોર્ડ, નિગમો, પંચાયતો, મહાનગરપાલિકાઓ, અને સ્વાયત્ત તેમજ અનુદાન-સહાયિત સંસ્થાઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થાય તે સુનિશ્ચિત કરવું. વધુમાં, અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્યમથક છોડવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
આ અગાઉ ગુજરાત પોલીસ બાદ આરોગ્ય વિભાગ અને મહેસુલ વિભાગના કર્મચારીઓ ની રજા રદ્દ કરવા બાબતે સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. રજા પર રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ હેડક્વાર્ટર પરત ફરવા આદેશ કરાયો છે. તેમજ વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો. તો બીજી તરફ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈનાત રહેવા સૂચના અપાઈ. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી છે. જેમાં પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને માહિતી અપાઈ હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે તબીબોની સિવિલ હોસ્પિટલમાં ટીમ તૈયાર કરાઈ છે.