અમદાવાદ : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં કુતરાના કરડવાના બનાવોએ ભારે ચર્ચા જગાવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે પણ આકરું વલણ અપનાવ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓને આ દિશામાં યોગ્ય પગલાં ભરવા આદેશ કર્યો છે. ત્યારે હવે જો તમે અમદાવાદમાં પાલતુ કુતરાની સાથે જો બિલાડી પણ પાળો છો તો AMCના જણાવ્યા મુજબ તમામ પેટ પેરેન્ટ્સે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરીને પોતાના પાલતુ પ્રાણીનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવું પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરમાં પાલતુ પ્રાણીઓનો સચોટ ડેટા તૈયાર કરવાનો, રસીકરણ પર નજર રાખવાની અને પાલતુ પ્રાણીઓને લગતા વિવાદો પર નિયંત્રણ લાવવાનો છે.
રિપોર્ટ મુજબ, AMCએ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન રાખી છે જેથી નાગરિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે. અરજદારે AMCની સત્તાવાર વેબસાઇટ પર જઈ જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન પાલતુ પ્રાણીનો ફોટોગ્રાફ, વેક્સિનેશન સર્ટિફિકેટ, માલિકનો આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર, મિલકત કરનું બિલ, વીજળીનું બિલ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. ફીની વાત કરીએ તો પાલતુ બિલાડીના રજિસ્ટ્રેશન માટે 200 અને પાલતુ શ્વાન માટે 2000 ફી નક્કી કરવામાં આવી છે. અરજી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ માલિકને સત્તાવાર રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે.
અમદાવાદમાં ફ્લેટ, સોસાયટી અને બંગલાઓમાં પાલતુ પ્રાણીઓ રાખવાનો શોખ સતત વધી રહ્યો છે. ઘણી વખત પાલતુ શ્વાન અથવા બિલાડીને લઈને પડોશીઓ વચ્ચે મતભેદ અથવા ફરિયાદો પણ સામે આવે છે. આવી પરિસ્થિતિમાં પાલતુ પ્રાણીઓની ઓળખ સરળ બને અને શહેરમાં કેટલા પ્રાણીઓ છે તેની સચોટ માહિતી ઉપલબ્ધ રહે તે માટે AMCએ આ પગલું ભર્યું છે. ઉપરાંત રસીકરણની માહિતી જાળવવામાં પણ સરળતા રહેશે, જેના કારણે પ્રાણીઓમાં ફેલાતી બીમારીઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિર્ણય સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અને લાગુ નિયમોના પાલનના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
AMCએ તમામ નાગરિકોને 30 સપ્ટેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પાલિકાની ટીમો દ્વારા શહેરની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાના પાલતુ બિલાડી અથવા શ્વાનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નહીં હોય, તો તેના સામે દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. તેથી જે લોકો ઘરે પાલતુ પ્રાણી રાખે છે તેમણે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ઓનલાઈન નોંધણી કરાવી દેવી જોઈએ. સમયસર રજિસ્ટ્રેશન કરાવવાથી નિયમોનું પાલન થશે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાશે.


