અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નારણપુરા, સોલા અને નવા વાડજ જેવા વિસ્તારોમાં આવેલી અનેક હાઉસીંગ વસાહતોમાં હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડી રહી છે. ક્યાંક કામની શરૂઆત થઈ છે, તો ક્યાંક ડિમોલિશન (બાંધકામ તોડી પાડવાની) પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે રિડેવલપમેન્ટના વોટ્સઅપ ગ્રુપો અને સ્થાનિક સ્તરે એક ચિંતાજનક ચર્ચાએ જાેર પકડ્યું છે. આરોપ છે કે, કેટલાંક બિલ્ડરો દ્વારા સોસાયટીના લાલચું ચેરમેન અને સેક્રેટરીઓને સાધીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે સામાન્ય રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત સરકારની રિડેવલપમેન્ટ પોલિસી વાસ્તવમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક આશીર્વાદ સમાન છે. આ વિસ્તારોમાં વર્ષો જૂની વસાહતો જર્જરીત અવસ્થામાં છે. આર્થિક સંકડામણના કારણે જે લોકો ઘરનું સમારકામ કરાવી શકતા નથી, તેઓ જીવના જાેખમે ત્યાં વસવાટ કરી રહ્યા છે. આ પોલિસી હેઠળ રહીશોને જુના મકાનની સામે નવું અને મોટું મકાન, વૈકલ્પિક વ્યવસ્થા માટે ભાડું, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ક્યાંક ફર્નિચર પેટે ‘ગિફ્ટ મની‘ પણ આપવામાં આવે છે.
પરંતુ, આ આખી પ્રક્રિયામાં હવે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારો વચ્ચેની સાંઠગાંઠના કિસ્સા સામે આવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, બિલ્ડરો દ્વારા લાલચું ચેરમેન-સેક્રેટરીઓને અંગત લાભો આપીને સામાન્ય રહીશોના હક પર ત્રાપ મારવામાં આવી રહી છે.
શહેરના આ વિસ્તારોમાં મોટાભાગે મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારો વસવાટ કરે છે. અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત હાલતમાં પહોંચી ગઈ હોવાથી રિડેવલમેન્ટ યોજના આવા પરિવારો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. નવી રહેણાંક સુવિધા, વૈકલ્પિક ભાડું, સ્થળાંતર ખર્ચ સહિતની સુવિધાઓ રહેવાસીઓને મળતી હોવાથી લોકોમાં શરૂઆતમાં સારો પ્રતિસાદ જાેવા મળ્યો હતો.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક સોસાયટીઓમાં ગિફ્ટ મની, કાર્પેટ એરિયાના માપ, ટેરેસના અધિકાર અને અન્ય શરતોને લઈને વિવાદો ઉભા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક રહીશોનો આક્ષેપ છે કે રેરાના નિયમો અને મૂળ દસ્તાવેજાે મુજબ મળવા પાત્ર વિસ્તાર અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
રિડેવલમેન્ટ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ સોસાયટીએ રિડેવલમેન્ટ પહેલાં તમામ શરતો લેખિતમાં મેળવવી જાેઈએ. કાર્પેટ એરિયા, ગિફ્ટ મની, ભાડું, બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા, બેંક ગેરંટી, ટેરેસ અને પાર્કિંગના અધિકારો સહિતની દરેક બાબત કાયદાકીય સલાહ બાદ જ અંતિમ કરવી જાેઈએ.
રહેવાસીઓએ પણ માત્ર હોદ્દેદારોના ર્નિણય પર ર્નિભર રહેવાને બદલે જનરલ બોડીમાં તમામ વિગતો પારદર્શક રીતે રજૂ થાય તેની માંગ કરવી જાેઈએ. દરેક સભ્યને કરારની નકલ ઉપલબ્ધ કરાવવી, જરૂરી હોય ત્યાં સ્વતંત્ર કાનૂની સલાહ લેવી અને શંકાસ્પદ બાબતો અંગે સત્તાવાર સ્પષ્ટતા માંગવી એ સમયની જરૂરિયાત બની છે.
રિડેવલમેન્ટનો હેતુ જર્જરીત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત અને આધુનિક રહેણાંક ઉપલબ્ધ કરાવવાનો છે. તેથી આ પ્રક્રિયામાં પારદર્શિતા, કાયદાનું પાલન અને તમામ સભ્યોના હિતોનું રક્ષણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ તટસ્થ તપાસ કરે તેવી ઉગ્ર માંગ
રિડેવલપમેન્ટના નામે અનેક સોસાયટીઓમાં ચાલતી કાળી કમાણીની રમત
અમદાવાદ : અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ જેવા મધ્યમવર્ગીય વિસ્તારોમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં હાલ રિડેવલપમેન્ટની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે. કાયદાકીય રીતે આ પ્રક્રિયા સામાન્ય રહીશોના ઉત્થાન માટે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર ઊઠેલા ગંભીર આક્ષેપો બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે: શું હાઉસિંગ બોર્ડના અધિકારીઓની આંખ નીચે જ આ ખેલ ખેલાઈ રહ્યો છે?
ફરિયાદોમાં ગિફ્ટ મનીમાં અસમાનતા, રેરા મુજબ કાર્પેટ એરિયા ન મળવાનો મુદ્દો, ટેરેસ અને અન્ય કોમન સુવિધાઓના અધિકારો અંગે ગેરરીતિ, તેમજ તમામ સભ્યોને સંપૂર્ણ માહિતી આપ્યા વિના ર્નિણયો લેવાતા હોવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલે રહીશોમાં અસંતોષ અને ચિંતા જાેવા મળી રહી છે. અનેક લોકોનું માનવું છે કે રિડેવલમેન્ટ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને કાયદાકીય નિયમોનું પાલન અનિવાર્ય છે.તેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ, રાજ્ય સરકાર તેમજ સંબંધિત સત્તાધિકારીઓએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી, જ્યાં જ્યાં ફરિયાદો અને આક્ષેપો સામે આવ્યા હોય ત્યાં તમામ દસ્તાવેજાે, કરારો, સંમતિ પ્રક્રિયા, કાર્પેટ એરિયા, ગિફ્ટ મની અને અન્ય લાભોની ચકાસણી કરવી જાેઈએ તેવી માંગ ઉઠી રહી છે.
જાે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, નિયમભંગ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર બિલ્ડરો, સોસાયટીના હોદ્દેદારો અથવા અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
રિડેવલમેન્ટનો મૂળ હેતુ જર્જરીત મકાનોમાં રહેતા પરિવારોને સુરક્ષિત અને આધુનિક આવાસ ઉપલબ્ધ કરાવવાનો છે. તેથી આ પ્રક્રિયા પારદર્શક, ન્યાયસંગત અને તમામ સભ્યોના હિતોની સુરક્ષા સાથે થાય તે સુનિશ્ચિત કરવું રાજ્યની જવાબદારી હોવાનું રહીશોનું માનવું છે.
જાે બિલ્ડર સોસાયટીના હોદ્દેદારને 1કરોડ વહીવટ પેટે આપે છે તો સોસાયટીને 10 કરોડનું નુકશાન થવાની શકયતા..!!
અમદાવાદ : અનેક હાઉસીંગ કોલોનીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બિલ્ડરો અને હાઉસીંગ સોસાયટીના ચેરમેનની સાંઠગાંઠની ચર્ચા ટોક ઓફ હાઉસીંગ બની છે.
જાે હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડરને સીધું સટ ઉતરવું હોય તો સોસાયટીના લાલચું ચેરમેન સહિતના હોદ્દેદારોને સાધી પોતાના અનેક મનસૂબા પાર પાડી શકે તેમ છે.કોઈ બિલ્ડર લાભ લીધા વગર કોઈના ઉપર મહેરબાન થતા નથી.જાે કોઈ ઉપર મહેરબાન થાય છે તો તેનું સીધુ નુકશાન સોસાયટી અને રહીશોને થવાનું છે.
એક અંદાજ મુકીએ તો કોઈ બિલ્ડર સોસાયટીના કોઈ પણ એક હોદ્દેદારને 1કરોડ રૂપિયા ગીફટ તરીકે આપે છે તો સોસાયટી અથવા રહીશોને 10 કરોડ સુધી નુકશાન થવાનો અંદાજ નકારી શકાય એમ નથી.
આમ કહેવા જઈએ તો બિલ્ડર 10 ગણો ફાયદો જાેતા હોય છે અને આવા પ્રકારના પાછલા દરવાજે વહીવટો થવાની શક્યતાઓ રહેલી છે.


