અમદાવાદ : અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મેટ્રો રેલ સેવાના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) અને ત્યાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી આપવા માટે હવે ધોલેરા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટને આગામી દિવસોમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે, જેનાથી ભવિષ્યમાં મુસાફરોની સુવિધામાં અનેકગણો વધારો થશે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદરાબાદ સુધીના મેટ્રો ફેઝ-3 વિસ્તરણને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ પ્રી કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારની આખરી મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ કરવામાં આવશે.આ 60 કિમી લાંબો વિસ્તાર આગામી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ભવિષ્યની મેટ્રો કનેક્ટિવિટીનો પાયો નાખશે.
નવા પ્રસ્તાવિત મેટ્રો રૂટના પ્લાનિંગ મુજબ, આ લાઇન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજથી શરૂ થશે. ત્યાંથી આગળ વધીને ગોધાવી અને સરદાર પટેલ (SP) રિંગ રોડ થઈને આ રૂટ ધોલેરા તરફ આગળ વધશે. આ રૂટના નિર્માણથી માત્ર ધોલેરા જ નહીં, પરંતુ અમદાવાદ શહેરના બહારના રિંગ રોડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ ઝડપી અને આધુનિક પરિવહનનો લાભ મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્રો કોરિડોરને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની વધુ નજીક લાવીને આ વિસ્તરણ રાજ્યના લાંબા ગાળાના ટ્રાન્સપોર્ટ વિઝન સાથે સુસંગત બનાવશે. આ કોરિડોર શીલજ કેનાલ રોડ વિસ્તારમાંથી શરૂ થશે અને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર ચાલીને બોપલ ક્રોસરોડ્સ, શાંતિપુરા ક્રોસરોડ્સ પરથી પસાર થઈને બદરાબાદ સુધી પહોંચશે.
આ રૂટ શીલજ ક્રોસરોડ્સ નજીક ઝડપથી વિકસતા કેનાલ રોડ બેલ્ટ પરથી પસાર થઈને થલતેજ ગામને ગોધાવી ખાતેના સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA) સાથે પણ જોડશે. ત્યાંથી, આ રૂટ SWASA પહોંચતા પહેલા રેલવે લાઇનને સમાંતર ચાલશે. આ પ્રસ્તાવ હવે આખરી મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. કેબિનેટ મંજૂરી અને વૈધાનિક પ્રક્રિયાઓ, જમીન સંબંધિત ઔપચારિકતાઓ અને ટેન્ડરિંગ પૂર્ણ થયા બાદ સિવિલ કન્સ્ટ્રક્શન શરૂ થશે.
પ્રસ્તાવિત ફેઝ-III નેટવર્કમાં 41 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. તે નવા ઉભરતા રહેણાંક, વ્યાપારી અને સંસ્થાકીય હબ માટે કનેક્ટિવિટી સુધારવા માટે તેમજ ઇન્ટરચેન્જ સ્ટેશનો દ્વારા અમદાવાદની હાલની મેટ્રો સિસ્ટમ સાથે જોડાણ મજબૂત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું હોવાથી પ્લાન કરવામાં આવ્યું છે.


