અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા યોજાઈ રહેલા આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના આંબલી-બોપલ વિસ્તારમાં ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાના સંસદીય વિસ્તારના નાગરિકો વચ્ચે ઉપસ્થિત રહીને રૂબરૂ લોકદરબાર યોજશે અને સ્થાનિકોના પ્રશ્નો તથા સમસ્યાઓ સાંભળશે.
રિપોર્ટ મુજબ, તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ બોપલ અને ઘુમા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સ્થાનિક રહીશોને પડેલી જળબંબાકારની ભારે મુશ્કેલીઓ, ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ અંગે ગૃહમંત્રી સ્થાનિકો પાસેથી સીધો પ્રતિભાવ મેળવશે. તંત્રની ધીમી કામગીરી બાદ હવે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી સ્થાનિક સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે.નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેઓના પ્રશ્નો સાંભળી તેના કાયમી નિરાકરણ માટે સ્થળ પરથી જ તાકીદની સૂચનાઓ આપવામાં આવશે.
આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036ના ઓલિમ્પિક રમતોત્સવના આયોજન સંદર્ભે ચાલી રહેલી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓનું નિરીક્ષણ અને સમીક્ષા પણ કરશે. અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા માટે થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે તેઓ અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરશે.
અમદાવાદ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાની પણ મુલાકાત લેવાના છે. ત્યાં તેઓ વિવિધ વિકાસલક્ષી અને સહકારી ક્ષેત્રના કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ પ્રવાસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


