અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જય અંબે યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગત શનિવારે રાત્રે યુગો કી ગાથા ‘યુગધારા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એમ ચારેય યુગોની ગાથાને નૃત્ય, અભિનય અને વિવિધ દૃશ્યોના માધ્યમથી જીવંત કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, યુગો કી ગાથા ‘યુગધારા’ કાર્યક્રમની શરૂઆત સતયુગના પ્રસંગોથી કરવામાં આવી હતી. જેમાં સમુદ્રમંથન તેમજ રક્તબીજના વધ જેવા પ્રસંગોનું સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામના જન્મથી લઈને સીતાજીના હરણ અને શ્રીરામના અયોધ્યા આગમન સુધીની ગાથા રજૂ કરવામાં આવી હતી.દ્વાપર યુગના પ્રસંગોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને તેમની વિવિધ બાળલીલાઓ, ગોકુળ-વૃંદાવનના પ્રસંગો, મહાભારત અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ભગવદ્ ગીતાના જ્ઞાનને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વર્તમાન કળિયુગના વાસ્તવિક પાસાં-જેમ કે ધન-દોલતની મોહ-માયા, છળ-કપટ, ઈર્ષ્યા અને નિંદા વચ્ચે પણ જીવંત રહેલી સાચી ભક્તિભાવનાને કલાકારોએ અસરકારક નૃત્ય દ્વારા રજૂ કરી હતી.આ દૃશ્યો દ્વારા આધુનિક જીવનની કેટલીક સામાજિક વાસ્તવિકતાઓ અને આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

‘યુગધારા’ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં પાંચ વર્ષના નાના બાળકો થી લઈને 65 વર્ષ સુધીની વયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના લોકોની સામૂહિક ભાગીદારીથી કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું હતું.સમગ્ર એપાર્ટમેન્ટના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોની પ્રસ્તુતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

ગણેશ મહોત્સવના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રહેવાસીઓએ ઉત્સાહભેર હાજરી આપી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત ‘યુગધારા’ કાર્યક્રમમાં ધાર્મિક કથાઓ સાથે સામાજિક અને આધ્યાત્મિક સંદેશને સાંકળી રજૂ કરવામાં આવતા કાર્યક્રમ સૌ માટે યાદગાર બન્યો હતો.


