અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમ મહામેળો ખુલ્લો મુક્યો હતો.
પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળતાં સમગ્ર અંબાજી પરિસર જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન માટે આવેલા માઈભક્તોના કારણે અંબાજી ધામ જાણે શ્રદ્ધાના માનવમહેરામણમાં પરિવર્તિત થયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સાડા ચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભાદરવી કાળે બોલ મા અંબા જય જય અંબાના નાદથી સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું છે.
આ ઉપરાંત, ભક્તોની ભક્તિનું બીજું એક અદભુત પ્રતીક અંબાજી મંદિરના શિખર પર જોવા મળ્યું હતું, જ્યાં પ્રથમ દિવસે જ 5 મીટરની લંબાઈ ધરાવતી 400થી વધુ પંચરંગી ધજાઓ વિધિવત રીતે ચઢાવવામાં આવી હતી.મેળાના પ્રથમ દિવસે મંદિર ટ્રસ્ટને શ્રદ્ધાળુઓ દ્વારા ઉદાર હાથે દાન-ભેટ આપવામાં આવી હતી. પ્રથમ 24 કલાકમાં જ મંદિર ટ્રસ્ટની દાનપેટી અને ભેટ કેન્દ્ર ખાતે કુલ 34 લાખ રૂપિયા જેટલી રકમ રોકડ અને ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.
મેળાના પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન એક અત્યંત ભાવુક અને અનોખી આસ્થાનું દ્રશ્ય સામે આવ્યું હતું. એક શ્રદ્ધાળુ પોતાની આંખે પાટા બાંધીને દંડવત પ્રણામ કરતા કરતા મા અંબાના દર્શનાર્થે પહોંચ્યો હતો. આ ભક્ત પર ભૂતકાળમાં ભારે આર્થિક દેવું થઈ ગયું હતું, જેમાંથી મુક્તિ મેળવવા માટે તેણે મા અંબાની બાધા રાખી હતી. માતાજીની કૃપાથી કરજમુક્ત થતાં જ તેણે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આંખે પાટા બાંધીને મંદિર પહોંચી મા અંબાનો આભાર માન્યો હતો.
મહામેળા નિમિત્તે અંબાજી મંદિર અને પરિસરને અત્યંત આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાઉન્ડ સિસ્ટમ સાથે સુમેળ સાધીને તૈયાર કરાયેલું લાઈટિંગ સેટલમેન્ટ યાત્રાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ જાતે ઉપસ્થિત રહીને આ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
માઇભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજથી અંબાજી મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓ સુગમતાથી દર્શન કરી શકે.


