અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે ચોરીના બનાવમાં કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં વ્રજવિહાર 5 અને રત્નદીપ કોમ્પલેક્ષમાં સ્થાનિકોએ બેનર લગાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર કાગળ પર બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઇટ વિસ્તારમાં છ મહિનામાં આઠ દુકાનોના તાળા તૂટવામાં કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકો પોલીસની કામગીરીથી નારાજ છે. પોલીસે કામગીરી નહીં કરતા ચોરને મોકળું મેદાન મળ્યું હોવાના આરોપ ઉઠયા છે. ક્યાંક રોકડ રકમની ચોરી તો ક્યાંક દુકાનોમાં રહેલી વસ્તુઓની ચોરી થઈ હતી. અનેક રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકોએ સેટેલાઈટ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો. સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોરીના બનાવ વધ્યા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા.
વેપારીઓ દ્વારા કોમ્પલેક્સમાં લગાડવામાં આવેલા બેનરમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘વ્રજવિહાર-5 અને 6 કોમ્પલેક્સ બ્રેકિંગ…. વ્રજ વિહાર કોમ્પલેક્સ 5 અને 6 પ્રેરણા તીર્થ દેરાસર રોડ, ગ્લોરિયા રેસ્ટોરન્ટની સામેના દુકાનદાર ભયભીત, સેટેલાઈટ વિસ્તારમાં ચોર બન્યા બેફામ.. એક જ મહિનામાં વ્રજ વિહાર-5 અને 6 કોમ્પલેક્સમાં 5થી 6 દુકાનના 2 વાર તાળા તૂટ્યા તેની પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, તેમ છતાં કોઈ ઉપયુક્ત પગલાં લેવામાં આવ્યા નથી. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર પોકળ..’
કોમ્પલેક્સમાં આવેલી દુકાનોના તમામ વેપારીઓનું કહેવું છે કે, પોલીસ તેમની ફરિયાદને સહેજપણ ગંભીરતાથી લેતી નથી. તેમના જણાવ્યા અનુસાર પોલીસ વારંવાર તેઓેને પોલીસ સ્ટેશન આવીને કલાકો સુધી બેસાડીને રાખે છે અને સમય બરબાદ કરે છે. આ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરનારા ચોર દિવસેને દિવસે વધી વધુ હિંમતવાળા બની રહ્યા છે અને તેમને કોઈનો ડર રહ્યો નથી. આ સ્થિતિમાં તેમની દુકાનોમાં વધુ ચોરી થવાનું જોખમ વધ્યું છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
બેનર લાગ્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ વ્રજ વિહાર કોમ્પલેક્સમાં પહોંચી હતી અને વેપારીઓની રજૂઆત સાંભળીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર સીસીટીવીના આધારે અને વેપારીઓની ફરિયાદ લઈને ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.


