અમદાવાદ : શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન AMTS દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસ દીઠ રૂ. 2400 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરના અલગ અલગ કુલ 14 જેટલા મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે. શહેરમાં 14 સિવાયના બીજા સ્થળોએ માતાજી મંદિરોમાં પણ નાગરિકો જવા ઈચ્છતા હશે તો તેઓને તે મંદિરમાં લઈ જવામાં આવશે.
AMTS કમિટિના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન AMTS દ્વારા અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. નવરાત્રિનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ સારંગપુર અને મણીનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.
AMTS દ્વારા આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરના વિવિધ 14 જેટલા મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સીટીંગ અને 10 ઉભા અથવા 28 સીટીંગ અને 12 ઉભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવી અને બુકિંગ કરાવી શકશે. જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.
તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાથી ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનામાં વિવિધ મંદિરો તેમજ પયુર્ષણ પર્વ દરમિયાન પણ વિવિધ જૈન મંદિરોમાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવી હતી.
અમદાવાદના કયાં-કયાં મંદિરોમાં દર્શન કરી શકાશે
ભદ્રકાળી મંદિર (લાલ દરવાજા)
મહાકાળી મંદિર (દુધેશ્વર)
માત્રભવાની વાવ (અસારવા)
ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રીજ નીચે)
પદ્માવતી મંદિર (નરોડા)
ખોડિયાર મંદિર (નિકોલ)
હરસિધ્ધ માતા મંદિર (રખીયાલ)
બહુચરાજી મંદિર (ભુલાભાઇ પાર્ક)
મેલડીમાતાનું મંદિર (બહેરામપુરા)
હિંગળાજમાતાનું મંદિર (નવરંગપુરા)
વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
ઉમિયામાતાનું મંદિર (જાસપુર રોડ)
આઇ માતાનું મંદિર (સુઘડ)
કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)