અમદાવાદ : આજે અમદાવાદમાં ધરણીધર દેરાસરથી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના ધારાસભ્યો અને જૈન આગેવાનો દ્વારા ફ્લેગ ઓફ કરાવી અને આ રથયાત્રાનું શુભારંભ કરાવ્યો હતો. પાલડી, વાસણા સહિતના વિવિધ જગ્યાના 99 જેટલા જૈન સંઘો આ રથયાત્રામાં જોડાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ રથયાત્રામાં વિવિધ પ્રકારની રચનાઓ, તપસ્વીઓના શણગારેલા ઉંટગાડા, વાજિંત્રો, જૈન શ્રેષ્ઠિઓનું સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે, આઝાદીમાં યોગદાન દર્શાવતા ટેબલો અને હિંસા મુકત વિશ્વ વગેરેની રચનાઓ બનાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રામાં યુવાનો પાઘડી, ખેસ અને બહેનો સાડી, ચણિયાચો ચોળી વગેરે સાંસ્કૃતિક પોશાકમાં જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ પાઠશાળામાં ભણતા નાના બાળકો, બાલિકાઓ, મહિલા મંડળો, યુવક મંડળ વિશાળ સંખ્યામાં છે. 108 ફૂટ લાંબી શાસન ધજા લઈને સમગ્ર રથયાત્રામાં યુવાનો ચાલ્યા હતા. આ રથયાત્રા ધરણીધર જૈન દેરાસર પાસેથી નહેરુનગર ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, દર્પણ પાંચ રસ્તા, દેવકીનંદન જૈન દેરાસર થઈ શ્રી નારણપુરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી.

આ રથયાત્રામાં અનેક આચાર્ય ભગવન્ત્તો, સાધ્વીજી ભગવન્તો, શ્રાવક, શ્રાવિકાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વિવિધ જૈન હોસ્ટેલોમાં અભ્યાસ કરી રહેલા યુવાનોને પણ આ વિરાટ સામૂહિક રથયાત્રામાં જોડાયા હતા. વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતા.


