અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે, ગરબા પ્રેક્ટિસ માટે ડાન્સ ક્લાસિસ પણ ઘણા સમયથી ધમધમી રહ્યા છે. પરંતુ હર્ષોલ્લાસના આ તહેવાર પહેલાં જ ગુજરાતના અલગ-અલગ ત્રણ જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણા ગરબારસિકોને હચમચાવી નાખ્યા છે. વાસ્તવમાં નવરાત્રી પહેલા જ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. એવામાં આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરમાં ગરબા આયોજકો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું છે. જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે. જેમાં એમ્બ્યુલન્સ તથા તબીબોની ટીમ ખડેપગ રાખવામાં આવશે. આ ઉપરાંત ગરબાના રાઉન્ડનો સમય પણ આયોજકો દ્વારા ઘટાડીને ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ખેલૈયાઓનો પૂરતો આરામ મળે અને તેઓ શરીર પર વધારે કષ્ટ ન પડે. ઈમરજન્સીની સ્થિતિ માટે દબાઓનો પણ સ્ટોક મેદાન પર જ ઉપલબ્ધ હશે.
ઉપરાંત આયોજકો દ્વારા યુવાઓને એનાઉન્સમેન્ટ દ્વારા સમજાવવામાં આવશે કે ગરબા આનંદ માટે રમે, જીવના જોખમે નહીં. જો તબિયત થોડી પણ ખરાબ જણાય તો તાત્કાલિક જાણ કરે જેથી તેમને તાત્કાલિક તબીબી સહાય મળી રહે. સાથે તબીબોની ટીમ પણ ત્યાં હાજર ખેલૈયાઓને જઈને તેમને કોઈ તકલીફ છે કે નહીં તે અંગે પૂછશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી બાદથી હૃદય રોગના હુમલાના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક ગરબાના ક્લાસમાં પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયાના ચોંકાવનારા કિસ્સાઓએ સૌ કોઈને ચિંતિત કરી દીધા છે.


