અમદાવાદ : આગામી 14મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાનાર છે. આ મેચનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટીકીટો માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટ ઝડપાઈ છે. મેચની 150 જેટલી નકલી ટિકિટ મળી આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ટિકિટ બનાવવાની સાધન સામગ્રી સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 2 હજારની કિંમતની 150 નકલી ટિકિટ કબજે કરી 4 આરોપીને ઝડપ્યા હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમબ્રાન્ચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડી નકલી ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ કબજે કર્યા છે. આરોપીઓએ 1 પેજ પર 3 ટિકિટની કલરપ્રિન્ટ બનાવી હતી.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. તેમજ સોશિયલ મીડિયામાં પર કેટલાક લોકો નકલી ટિકિટો વેચીને લોકોને છેતરવાસો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડને લઇને ચેતવણી આપી હતી. અને સહાયતા માટે સાઈબર હેલ્પલાઈન નંબર 1930 અથવા હેલ્પલાઈન નંબર 100\112 પર કોલ કરવા જણાવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ સૌ કોઈ ખરીદવા માગે છે, ત્યારે ઓગસ્ટના અંતમાં આ મેચ માટે ટિકિટનો પહેલો લોટ જાહેર કરવામાં આવ્યો હતો. જે થોડી મિનિટોમાં જ ખતમ થઈ ગયો હતો. જે બાદ બીસીસીઆઈ ક્રિકેટ ફેન્સ માટે 14 હજાર અન્ય ટિકિટ રિલીઝ કરી હતી. બીસીસીઆઈએ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનારી ભારત અને પાકિસ્તાન મેચ માટે 14,000 ટિકિટ જાહેર કરવાની ઘોષણા કરી હતી. 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યા ટિકિટ બુકિંગ ખુલવાનું હતું.


