અમદાવાદ : નેવુંના દાયકાથી દર ઓક્ટોબર માસમાં સ્તન કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે . તેને ‘પિંક ઑક્ટોબર’ કહેવામાં આવે છે કારણ કે વિશ્વભરના લોકો ગુલાબી રંગને અપનાવે છે અને સ્તન સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે ગુલાબી રિબન પ્રદર્શિત કરે છે. ત્યારે અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમમાં સ્કૂલની શિક્ષિકા બહેનો તથા મહિલા વાલીગણે ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં આશરે 35 થી વધુ મહિલાઓએ સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર થવાના કારણો તથા તેના દરેક સ્ટેજ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી કિન્નરીબેનના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે આજના સમયમાં બહેનો જયારે કુટુંબના દરેક સદસ્યનું ધ્યાન રાખે છે ત્યારે તેઓ તેમના આરોગ્ય પ્રત્યે સભાન થાય તેવા ઉમદા આશયથી ખાસ બહેનો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


