અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ સહિતના કલાકારો પરફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થશે. જ્યારે કે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે. મેચને લઈને સમગ્ર શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે મેચ માટે કેટલાક રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે અત્યારથી જ દર્શકો સ્ટેડિયમમાં પહોંચવા લાગ્યા છે.
દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમની અંદર ફક્ત ટિકિટ, મોબાઈલ, પર્સ, ચશ્મા, કેપ તેમજ ઝંડા જ અંદર લઈ જઈ શકાશે.
મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.
સાથે જ જો ભારતની ટીમ મેચ જીતે તો પીલોસની મંજૂરી બાદ જ વિજય સરઘસ કાઢી શકાશે તેવી અતિ મહત્વની સૂચના જાહેર કરવામા આવી છે. મેચ બાદ વિજય સરઘસ કાઢવા માટે ખાસ મંજૂરી લેવી પડશે.


