અમદાવાદ : નવરાત્રી તહેવારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ અને તેમના પરિવારજનો બહાર હોય છે. નવરાત્રીના ગરબા સમાપ્ત થયા બાદ મોડી રાત્રે નાસ્તો અને પાણી સરળતાથી મળી રહે એ માટે ફૂડ કોર્ટ અને ખાણી પીણીની લારી ચાલુ રહે એ માટે આ સૂચના કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ તમામ જિલ્લા શહેરના પોલીસ વડાને આ અંગે મહત્વની સૂચના આપી છે.
રાજ્યના તમામ પોલીસ વડાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ મહત્વની સૂચના નવરાત્રીને લઈ આપ્યા છે. નાના ધંધાર્થીઓને તહેવારોનો સમય હોઈ તેમને પરેશાન નહીં કરવા માટે ખાણી પીણી અને ફૂડકોર્ટને બંધ નહીં કરાવી હેરાન નહીં કરવા સૂચના અપાઈ છે. ખાણી પીણીના લારી ગલ્લા અને ફૂડ કોર્ટને બંધ નહીં કરાવવા અને સાઉન્ડ સિસ્ટમ વિના ચાલતા ગરબાને બંધ કરાવવા માટે થઈને દબાણ નહીં કરવા માટે સૂચનાઓ પોલીસના અધિકારીઓને કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાને રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશ્નર અને જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચનાઓ આપી છે. તેમજ રાત્રી દરમિયાન ગરબાથી પરત જતા લોકોને સલામતી અને ટ્રાફિકમાં સરળતા થાય એ માટે પ્રયાસો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ દરમિયાન તંત્ર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ નવરાત્રી દરમ્યાન તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.


