અમદાવાદ : શહેરના N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના યુવક હિતેશ આલે કરેલા આપઘાતના કેસમાં નવા ખુલાસા થયા છે. કોન્સ્ટેબલ હિતેશ આલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હવે SG-2માં ફરજ બજાવતી રીંકલ નામની પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. રીંકલે હિતેશને ધમકી આપી માર મારી ટોર્ચર કર્યું હતું, જેનાથી કંટાળી હિતેશે આપઘાત કર્યો હતો. વેજલપુર પોલીસે ગુનો નોંધી રીંકલની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે. અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી રીંકલ દેસાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેશ આલને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપતી હતી. જેથી કંટાળીને પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો.
ઘટના એવી છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રીંકલ અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો.પરંતુ કોઈ કારણસર સંબધ તૂટી જતા હિતેશે સમાજમાં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી મહિલા પોલીસ કર્મી રીંકલ સતત હિતેશને માનસિક ત્રાસ આપતી હતી. ઓનલાઈન ખરીદી કરવાનું પેમેન્ટ અને આર્થિક મદદ મેળવવાની સાથે ધમકીઓ પણ આપતી હતી. પ્રેમિકાનો માનસિક ત્રાસ વધતા પોલીસ કર્મીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ મૃતક હિતેશના મોટા ભાઈએ રીંકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા પોલીસની ધરપકડ કરી છે.


