અમદાવાદ : વાઘ બકરી ગૃપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ ઈસ્કોન-આંબલી રોડ પર ગત તા. 15મી ઓક્ટોબરના રોજ મોર્નિંગ વોક પર નીકળ્યા તે દરમિયાન રખડતા શ્વાન તેમની પાછળ દોડ્યા અને આ દરમિયાન તેઓ પડી જતાં તેમના માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને પ્રથમ શેલ્બી અને તે બાદ ઝાયડસ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતુ.
પરાગ દેસાઈને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં છેવટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 49 વર્ષિય ઉદ્યોગ સાહસિકના નિધનથી બિઝનેસ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. આજે સોમવારે સવારે નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.
પરાગ દેસાઈ ટી ટેસ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. તેમણે અમેરીકામાં MBA નો અભ્યાસ કર્યો હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલા પોતાની ચાર પેઢીનો ફેમિલી બિઝનેસ સંભાળતા હતા. પરાગભાઈ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેઓ કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની જવાબદારી સંભાળતા હતા.
પરાગ દેસાઈ જ્યારે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા ત્યારે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું પણ તેમની કંપનીનું હાલનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે. વાઘ બકરી ચા 24 રાજ્યોમાં વિસ્તરેલી છે અને દુનિયાના 60 દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.


