અમદાવાદ : નામ બડે ઔર દર્શન ખોટે કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલના હાલ જોવા મળ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. જે મામલે ગ્રાહકે ફરિયાદ કરી હતી. AMCને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વસ્ત્રાપુરની હયાત હોટલના રસોડાને સીલ મારી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવેલી ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળતા ત્યાં ખળભળાટ મચી ગયો હતો. હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.
વસ્ત્રાપુરની હયાત હોટલમાં સંભારમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ખાવાના શોખીનો ચિંતિત થયા છે. લોકો પ્રખ્યાત હોટલ-રેસ્ટોરન્ટમાં ઊંચી કિમંત આપી વાનગીઓના ટેસ્ટ માણવાનો અનુભવ કરતા હોય છે. પરંતુ ખાવાના શોખીન ગ્રાહકોને તેમના ટેસ્ટમાં કયારેક બેસ્વાદપણાનો પણ કડવો અનુભવ કરવો પડે છે.
આ અગાઉ પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને આ અંગે જાણ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા.
શહેરમાં આવા કિસ્સાઓ વધતા આરોગ્ય વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠયા છે? કેમ આરોગ્ય વિભાગ આવા એકમો સામે કાયદાકીય પગલાં લેતું નથી ? કેમ આરોગ્ય વિભાગ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ભોજન ના આપનાર હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી નથી કરતું ?


