અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા કેનાલ મારફતે અમદાવાદ શહેરમાં પૂરું પાડવામાં આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ હોવાથી AMCના વોટર ખાતા દ્વારા અમદાવાદીઓને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે કે, AMCની વોટર કમિટીએ કહ્યું છે કે, હાલ વરસાદના પૂરના કારણે પાણી સહેજ ડહોળાશવાળું આવશે. પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડહોળું દેખાશે. એટલા માટે જ્યાં સુધી ડહોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે. આથી AMC દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારમાં આવતા પાણીમાં આ સમસ્યા રહી શકે છે. તમારે 10-15 દિવસ ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.
AMC હેઠળના વોટર ખાતા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવી અને તેનું શુદ્ધિકરણ કરીને આખા અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવે છે. તેવામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાણીની આવક વધતાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા કેનાલ મારફતે આવતાં પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ રહેતી હોવાથી આગામી દિવસોમાં ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMC હેઠળના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને પાણીને ઉકાળીને પીવા જાહેર અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. જો કે, ડેમની સપાટીમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.