અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવ્યો છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બની છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 નું લોકાર્પણ કર્યું હતું. ફેઝ 1 ના ઉત્તર – દક્ષિણ મેટ્રો કોઈડોરનું વિસ્તરણ એટલે મેટ્રો ફેઝ 2. મેટ્રો ટ્રેન હવે APMCથી મોટેરા લાઈન ગાંધીનગર સુધી જશે. PM મોદીએ મેટ્રો ફેઝ-2ના 20.8 કિમીના કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.
એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર 35 છે. જેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું 375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે.
સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
આ કોરિડોરમાં 8 સ્ટેશન હશે
અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં કુલ 8 સ્ટેશન આવશે. GNLU, રાયસણ, રાંદેસર, ધોળકુવા સર્કલ, ઇન્ફોસીટી, સેક્ટર 1, PDPU અને ગિફ્ટ સીટીનો સમાવેશ થાય છે.
મેટ્રોનું ટાઈમટેબલ, જાણો કયા સમયે મળશે ટ્રેન
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સેક્શન 1 મેટ્રો સ્ટેશન અને સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ સુધીનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. તો જીએનએલયુથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી જીએનેલયુ માટેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેન સેવા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેવા કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે. મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે.