નવસારી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની મહિલા પોલીસ સંભાળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે PM નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં PM ની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માત્ર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, PM ના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે.
સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 19 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી, 1 મહિલા ડીઆઈજી અને 1 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.
મંત્રીએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા PM ની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે. બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તે માટે મંત્રીએ મહિલા અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.


