ગાંધીનગર : નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. ગુજરાત સરકાર સામાન્ય નાગરીકો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં ‘સીએમ ઓન ફોન’ નામની ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરી રહી છે. હવે ગુજરાતના સામાન્ય નાગરિકો સીધા રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકશે. જેમાં લોકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચાડી શકશે. આ યોજના માટે રાજ્ય સરકારે પ્રારંભિક બજેટ 1 કરોડ ફાળવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પહેલમાં લોકો દ્વારા હેલ્પલાઈન પર ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે આ વિભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે. તમને જણાવી દઈએ કે હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે, જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરે છે, પરંતુ તે લેખિત સ્વરૂપે કરવાની રહે છે. જ્યારે અહીં નાગરિકો ટેકનોલોજીથી ફરિયાદ નોંધાવી શકશે.
આ હેલ્પલાઈન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. બીજા કેટલાંક રાજ્યોમાં આવી હેલ્પલાઈન ચાલે છે, જેમાં રોજના 5થી 50 હજાર ફોન આવે છે, અમે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરીશું.
હવે ગુજરાતના નાગરિકો સીએમ ઓન ફોન દ્વારા મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.
નોંધ: કોઈ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઈ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઈને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે. આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને સમર્પિત હશે.