પાવાગઢ : ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..ભાવિક ભક્તોના ધસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી કરાયો છે. આગામી 30 તારીખથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભારતના 51 શક્તિપીઠમાંના એક પાવાગઢ શક્તિપીઠના દર્શનનું માઇ ભક્તોમાં ખૂબ જ મહત્વ છે.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 30મી માર્ચના લઈ શરુ થનારી ચૈત્રી નવરાત્રીને લઈને માઇભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમા 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4.00 અને બંધ થવાનો સમય સાંજે 8.00 કલાકે રહેશે.
ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. દસમથી ચૌદશ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. પુનમના દિવસે મંદિર 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આ અંગેનું સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે સાથે ચૈત્રી નવરાત્રીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી માઇભક્તો મહાકાળી માતાના દર્શ માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીએ લાખોમાં સંખ્યામાં માઇભક્તો દર્શન આવે તેવી શક્યતા છે.