ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund – CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે. કુદરતી આફત, અકસ્માત અને ગંભીર બીમારીઓના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ડુંગર હેઠળ દબાય છે. ત્યારે આવા કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ભંડોળ આશાનું કિરણ બની રહે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રાહત ભંડોળ CMRFને વધુ અસરકારક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે. આજે મુખ્યમંત્રી રાહત ભંડોળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ભરોસાનું પ્રતિક બની ચૂકયું છે.વર્ષ 2021-2025 દરમિયાન કેન્સરના 2,106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.છેલ્લા 4 વર્ષના આંકડા CMRFની સફળતાની સાક્ષી પૂરે છે.
આ સહાયમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય પ્રકારના કેન્સરના 1656 દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને અમદાવાદની GCRI, રાજકોટની નાથાલાલ પરીખ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સુરતની ભારત કેન્સર હોસ્પિટલ સહિત ગુજરાતની ટોચની તબીબી સંસ્થાઓમાં આધુનિક સારવાર મળી શકી છે.
સહાય મેળવવાના માપદંડ
CMRF નો લાભ લેવા માટે અરજદારની વાર્ષિક આવક ₹4 લાખ (વરિષ્ઠ નાગરિકો માટે ₹6 લાખ) થી ઓછી હોવી જોઈએ. અરજી મળ્યા બાદ, મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, રાહત કમિશનર અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ની બનેલી સમિતિની મંજૂરી પછી, મંજૂર થયેલી રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી સમયસર સારવાર સુનિશ્ચિત થાય છે.
આમ, મુખ્યમંત્રી રાહત ભંડોળ આજે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારો માટે ભરોસાનું પ્રતિક બનીને, ગંભીર બીમારીઓ સામે લડવામાં મોટો ટેકો પૂરો પાડી રહ્યું છે.


