અમદાવાદ : નાગરિક સેવા સંગઠન દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ગંભીર ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંગઠનના પ્રતિનિધિઓએ હાઉસિંગ બોર્ડના પીડિત રહીશો સાથે મળીને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
નાગરીક સેવા સંગઠનના કન્વીનર વિનોદભાઈ એમ. ચૌહાણ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં અધિકારીઓ દ્વારા માઇનસ ટેન્ડર મંજૂર કરી કરોડો રૂપિયાના ટી.ડી.આર. (Transferable Development Rights) તેમજ સરકારી જમીનોનો ગેરલાભ બિલ્ડરોને અપાયો હોવાનો આક્ષેપ છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
નાગરિક સેવા સંગઠનના કન્વીનર વિનોદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના હિત માટે રીડેવલપમેન્ટ નીતિ અમલમાં મૂકી હતી, પરંતુ હાઉસિંગ બોર્ડના કેટલાક અધિકારીઓ અને સ્ક્રિનિંગ કમિટીના સભ્યો દ્વારા નીતિના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે નીતિમાં એફોર્ડેબલ હાઉસિંગ અને મર્યાદિત વ્યાપારી ઉપયોગની જોગવાઈ હોવા છતાં કેટલાક પ્રોજેક્ટોમાં નિયમો વિરુદ્ધ મોટા રહેણાંક એકમો અને અન્ય લાભો આપવામાં આવી રહ્યા છે.
સંગઠને વધુમાં આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ તથા રેરા સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવવી જોઈએ. આ ગેરરીતિઓને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ ઇડી (ED), સી.એ.જી. (CAG) અથવા અન્ય યોગ્ય એજન્સી દ્વારા કરાવી દોષિત અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હાઉસિંગ બોર્ડના રહીશોને ન્યાય મળે અને તેમની સાથે થતી મનમાની અટકે તે માટે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.


