અમદાવાદ : દેશમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિ રાજ્યની આધુનિક આરોગ્ય સેવાઓ, તબીબોની નિષ્ઠા અને અંગદાન અંગે લોકોમાં વધી રહેલી જાગૃતિનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.આ બદલ તમામ તબીબી સ્ટાફને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ મુજબ, નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં અમદાવાદની જાણીતી IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) ને “Excellence in Organ Transplantation” એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને “Best Non-Transplant Organ Retrieval Centre” અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને “Best Brain Stem Death Team” નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ બદલ તમામ તબીબી સ્ટાફને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અભિનંદન પાઠવ્યા હતાં.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ-2025 દરમિયાન IKDRC-અમદાવાદ ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા, જેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પૈકી PM-JAY યોજના હેઠળ 380 દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો છે. અહીં સારવાર મેળવતા દર્દીઓમાંથી 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોના હોય છે. જે સંસ્થાની રાષ્ટ્રીય વિશ્વસનીયતા દર્શાવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2025-26 દરમિયાન 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસો પૈકી 48 મૃત દાતાઓ દ્વારા 171 જીવનદાયી અંગો અને 34 ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરીને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે.
આ ઉપરાંત, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની ટીમે વર્ષ દરમિયાન 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસોનું સફળતાપૂર્વક સર્ટિફિકેશન કરીને અંગદાનની પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવી છે. આરોગ્ય વિભાગ, SOTTO ગુજરાત અને સરકારી હોસ્પિટલોના સુદૃઢ સંકલન, અદ્યતન ટેક્નોલોજી તથા તબીબોની નિષ્ઠાના પરિણામે આજે ગુજરાત દેશમાં અંગદાન ક્ષેત્રે એક ‘રોલ મોડેલ’ બનીને ઉભરી આવ્યું છે.
સમગ્ર રાજ્યના નાગરિકો અને હોસ્પિટલોને મારી નમ્ર વિનંતી છે કે ઓર્ગન ડોનેશન પ્રત્યે સૌ જાગૃત બને અને કોઈ પણ બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગ વ્યર્થ ન જાય તે માટે સહભાગી થાય તે માટે નાગરિકો અને તબીબોને વિનંતી કરી હતી.


