અમદાવાદ : અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઘણા સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. જેના પરિણામ અમદાવદા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા બધા પ્રીમાઈસીસ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પાણી ભરાયા હોય તેવી 16 જેટલી સાઈટને સીલ કરવામાં આવી હતી. આટલું જ નહીં આગામી સમયમાં આ સાઈટની રજા ચિઠ્ઠી પણ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમોએ છેલ્લા બે દિવસમાં (3 અને 4 ઓગસ્ટ) 1,016 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ હાથ ધરી હતી, જેમાંથી 211 સાઈટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલની નવી બાંધકામ સાઈટ તેમજ નવરંગપુરા સ્થિત ‘ઓસ્ટીન 5’ અને ‘આમ્રપાલી’ સહિતની 16 કન્સ્ટ્રક્શન સાઈટો પર મચ્છરોનો ભારે ઉપદ્રવ મળતાં તેને સીલ કરી દેવાઈ છે. આ સાઈટો પર કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવા માલિકો અને મેનેજરોને કડક સૂચના અપાઈ છે.
આ ગંભીર બેદરકારીના પરિણામે, AMC એ 16 બાંધકામ એકમોને સીલ કર્યા છે, જે દર્શાવે છે કે કોર્પોરેશન નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કેટલી ગંભીરતાથી કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, નિયમોના ભંગ બદલ કુલ ₹10.11 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આ દંડ રોકડામાં કે બેંક ટ્રાન્સફર દ્વારા વસૂલવામાં આવેલ વહીવટી ચાર્જ છે, જે મચ્છર નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાશે.
ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો વધી જાય છે. જુલાઈ મહિનાના આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં ડેન્ગ્યુના 60 અને મેલેરિયાના 38 કેસ નોંધાયા હતા. આ આંકડા ચિંતાજનક છે અને તેને નિયંત્રિત કરવા માટે AMC સક્રિય બની છે. રોગચાળો વધુ વકરે નહીં અને શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
AMC એ બિલ્ડરો અને સાઇટ ઓપરેટરોને સ્થગિત પાણી દૂર કરવા અને આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા તાકીદ કરી છે. આ કડક પગલાંનો હેતુ જાહેર સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને અમદાવાદને મચ્છરમુક્ત બનાવવાનો છે.


